શહેરના કામદાર કોલોની વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે 20 વર્ષીય શખ્સને ઝડપી પાડી, તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને બાઇક સહિત કુલ ₹2,54,160 નો મુદ્દામાલ રિકવર કર્યો છે.

બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

થોડા સમય પૂર્વે જામનગરની કામદાર કોલોની શેરી નંબર-૩ માં રહેતા હીરેનભાઈ કૌશિકભાઈ સોનીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના કિંમતી ઘરેણાં અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા LCB ની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

બાતમીના આધારે ઓપરેશન

LCB સ્ટાફના સભ્યો ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને મયુદ્દીનભાઈ સૈયદ પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓને સચોટ હકીકત મળી હતી કે આ ચોરીમાં 'ખાનભાઈ' નામનો શખ્સ સંડોવાયેલ છે. બાતમી મુજબ, આરોપી દિગ્જામ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે ચોરીના મુદ્દામાલ સાથે ઉભો હતો. પોલીસે વોચ ગોઠવીને ત્યાંથી સુનીલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમાર (ઉં. ૨૦) ને દબોચી લીધો હતો.

આ પણ વાંચો:Porbandar: દ્વારકા હાઇવે પર કાર પલટી, મુસાફરોનો ચમત્કારિક બચાવ