જામનગર શહેરમાં ભૂમાફિયાઓએ સરકારી જમીન પચાવી પાડવાનું મોટું કારસ્તાન રચ્યું હોવાનું સામે આવ્યું છે. સરકારી ખરાબાની અંદાજે રૂ. 2.80 કરોડની કિંમતની જમીન પર ગેરકાયદે પ્લોટિંગ કરી વેચાણ કરવાના ગુનામાં પોલીસે 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવાનું કારસ્તાન 

આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. આરોપીઓએ જે જમીન ખાનગી માલિકીની નહોતી, તેના બનાવટી નકશા અને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. કૌભાંડને કાયદેસરનું રૂપ આપવા માટે આરોપીઓએ ‘જય સરદાર નોન-ટ્રેડિંગ કોર્પોરેશન’ નામે એક ખોટી સંસ્થા ઉભી કરી હતી. આ સંસ્થાના ઓઠા હેઠળ નદીકાંઠાની અને આજુબાજુની કુલ 8581.50 ચોરસ મીટર સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી.

66 પ્લોટ પાડી 11 પ્લોટ વેચી પણ માર્યા!

ભૂમાફિયાઓએ આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 66 પ્લોટ પાડી દીધા હતા. એટલું જ નહીં, રહેણાંક હેતુના બહાને તેમાંથી 11 પ્લોટ નિર્દોષ લોકોને વેચી પણ નાખ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલો વહીવટી તંત્રના ધ્યાન પર આવ્યો, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે આ જમીન તો સરકારી ખરાબો છે.

આ 6 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

પોલીસે આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા મનસુખ રતીલાલ ભટ્ટી, આમદ ઉમર ખફી, નુરમામદ ઉર્ફે બોદુ દાઉદ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, યજ્ઞેશ રતીલાલ રાણપરીયા, જગદીશ ગણેશ ચોવટીયા 6 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Morbi: ટંકારા પોલીસે ચિલઝડપનો ભેદ ઉકેલ્યો, રીક્ષામાં જતા મુસાફરનો ચેન તોડનાર શખ્સ અને સોનીની ધરપકડ

  • Follow us on: