સુરતથી મુસાફરો ભરીને દેરડી કુંભાજી જવા નીકળેલી શક્તિધામ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસને આજે વહેલી સવારે જસદણ ટાઉનમાં પ્રવેશતા જ રેલ્વે સ્ટેશન રોડ નજીક મોટો અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 4:00 વાગ્યે જ્યારે બસમાં સવાર મોટાભાગના પ્રવાસીઓ ઘાઢ નિંદ્રામાં હતા, ત્યારે બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આખી લક્ઝરી બસ હાઇવેની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતાં જ ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો.


ડ્રાઈવરની જોખમી સ્પીડ અને કાવા મારવાની આદત

અકસ્માતમાં આબાદ બચેલા અને સામાન્ય ઈજા પામેલા મુસાફરોએ હોસ્પિટલના બિછાનેથી ડ્રાઈવરની કરતૂત પરથી પર્દાફાશ કર્યો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ, સુરતથી નીકળ્યા બાદ ડ્રાઈવર સતત ઓવરસ્પીડમાં બસ ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, હાઇવે પર ભારે વાહનોને ઓવરટેક કરવા માટે તે બસના જોખમી કાવા મારી સ્ટંટબાજી કરતો હતો. મુસાફરોએ રસ્તામાં 3 થી 4 વખત ડ્રાઈવર પાસે જઈને બસ ધીમી ચલાવવા માટે કડક ટકોર પણ કરી હતી, પરંતુ તે નશામાં હોય કે ઓવર-કોન્ફિડન્સમાં, તેણે પ્રવાસીઓની વાતને નજરઅંદાજ કરી હતી. અંતે ડ્રાઈવરની આ જ લાલિયાવાડી અને બેદરકારીના કારણે ૨૨ લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી.

108એ દેવદૂત બનીને જીવ બચાવ્યા, પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇમરજન્સી સેવા 108 ને કોલ કરાયો હતો. સમયસર 108 ની એમ્બ્યુલન્સોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતાં તમામ ૧૧ ઈજાગ્રસ્તોને સમયસર પ્રાથમિક સારવાર આપી જસદણની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. મુસાફરો અને તેમના પરિવારોએ ૧૦૮ ના સ્ટાફની ત્વરિત કામગીરીને જાહેરમાં બિરદાવી હતી. બીજી તરફ, અકસ્માતની કંપારી છૂટી જાય તેવી વિગતો મળતા જ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોસાઈ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે બસને ક્રેન મારફતે સીધી કરાવી રોડ ક્લિયર કરાવ્યો છે અને બેદરકાર બસ ડ્રાઈવર સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Monsoon 2026: છોટાઉદેપુરમાં મેઘરાજાનું મંગલ આગમન, વહેલી સવારથી કાળાડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ

  • Follow us on: