જસદણ તાલુકાના શિવરાજપુર ગામે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક આધેડની કરપીણ હત્યા કરવામાં આવી છે. શિવરાજપુર નજીક આવેલી કાળી તલાવડી (કાળી કહ) ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
શિવરાજપુર ગામે નજીવી બાબતે હત્યા
મળતી માહિતી મુજબ, મૃતક છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા (રહે. ખાંડાધાર હડમતીયા) પર ગતરોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ એક દિવસ પહેલા થયેલી સાવ સામાન્ય બાબતની બોલાચાલી હોવાનું મનાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરો બેફામ બની હુમલો કરતા દેખાઈ રહ્યા છે. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
