જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે ગ્રામજનો, વેપારીઓ તેમજ રેલવેના પૂર્વ કર્મચારીઓ રેલવે વિભાગ સામે વિવિધ માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આજે સાતમા દિવસે વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી ગામ બંધ રાખ્યું હતું. તેમજ ઓટો રીક્ષા એસોસિએશન અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા અને તમામે રેલ્વે ઓથોરિટી સામે સુત્રોચાર કરી એક રેલી કાઢી હતી. બીજી બાજુ પોરબંદર સાંસદે આંદોલનકારીઓની માંગણીઓ લઈને દિલ્હી બોલાવતા ઉપવાસીઓનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ગયું છે.
ભાવનગર રેલ્વે ડિવિઝનના અધિકારીઓનો રાગદ્વેષ
જેતલસર જંકશન ગામે એક સમયે ભવ્ય ભૂતકાળ ધરાવતું જંકશન હતું. જેમાં 2500 જેટલા રેલ્વે કર્મચારીઓ તેમજ તેઓને રહેવાના 970 જેટલા ક્વાર્ટર હતાં. ત્યારે 19 હજાર જેટલી ગામની વસ્તી હતી. અને આખું ગામ હર્યુંભર્યું હતું. એટલે કે સાચું ભારત ગામડામાં જ વસ્યું હોવાનું સૂત્ર અહીં યથાર્થ લાગતું હતું. પરંતુ છેલ્લા દસેક વર્ષથી ભાવનગર રેલ્વે ડિવિઝનના અધિકારીઓના રાગદ્વેષને કારણે અહીંના મોટા ભાગના વિભાગો જેવાકે, બ્રેકડાઉન, લોકોલોબી, તેમજ ૧૮ રેલ્વે લાઈનમાંથી તેર જેટલી કરી નાખી મોટા ભાગના કર્મચારીઓની વેરાવળ, રાજકોટ, પોરબંદર વગેરે જગ્યાએ બદલી કરી નાખી હતી.
