ગીર પૂર્વના જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ રહેલા વધુ એક સિંહનું મોત થતા ગીરમાં સિંહોના મોતનો મામલો વધુ ગંભીર બન્યો છે. અગાઉ વન વિભાગ દ્વારા બેબસિયા રોગની અસર હોવાનું જણાવાયું હતું. પરંતુ હવે ચેપી CDV વાયરસની આશંકાને પગલે સિંહોના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારમાં સિંહોના ટપોટપ મોત થતા વન વિભાગ દોડતું થયું છે. ગાંધીનગરથી પીસીસીએફ અધિકારીઓની ટીમ સાથે જસાધાર દોડી આવ્યા છે.બીજી તરફ વન વિભાગ હવે રામભરોસે જૂના કર્મચારીઓના સહારે સિંહોને બચાવવા મેદાને પડ્યું છે!
17 સિંહોને તાબડતોબ આઇસોલેટ કરવામાં આવ્યા
પીસીસીએફ ડો. જયપાલસિંહે કહ્યું હતું કે, જીપીએસસી દ્વારા ભરતી થાય છે, એમના માટે એ લોકોની એક રજૂઆત હતી કે જેમનું એક્સપિરિયન્સ હોય એને પ્રાથમિકતા આપવામાં આવે અને એ બાબત જે છે અગાઉથી પણ એ ધ્યાને લેવામાં આવી હતી અને એના પછી જ રિક્રૂટમેન્ટ રુલ ફાઇનલ થયા હતા. અત્યારે એ ફાઇનલ તબક્કામાં જ છે. જે એમના પગાર કે બીજી વસ્તુ હોય એના માટે અમે એમની સાથે વાત કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ગીરના જંગલમાંથી જે આંકડા સામે આવ્યા છે તે કાળજું કંપાવી દે તેવા છે. ટૂંકા ગાળામાં જ કુલ 8 સિંહો અને સિંહબાળના મોત નિપજ્યા છે. સરકાર કહે છે કે આ 'બેબીસીયા વાયરસનો પ્રકોપ છે, પણ વન્યજીવ નિષ્ણાતોના મતે આ કોઈ આ જીવલેણ ભેદી રોગ છે! હાલમાં 17 સિંહોને તાબડતોબ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
સિંહો માટે વન વિભાગ એલર્ટ થઈ ગયો
સિંહો માટે વન વિભાગ એલર્ટ થઈ ગયો છે અને એક્શન પ્લાન શરૂ કર્યો છે. વનતારાની ટીમ પણ વન વિભાગના સંપર્કમાં છે. વનતારાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ જાણકારી આપવામાં આવી છે. વધુ વણસેલી સ્થિતિમાં વનતારાની ટીમ બોલાવાશે. વન વિભાગે બેક અપ પ્લાન તૈયાર કર્યો છે. બીજી તરફ સિંહના મોત મામલે પણ પીએમઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ચાર સિંહોના સેમ્પલ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયા છે. 22 સિંહ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને રસીકરણ પણ ચાલુ કરાયું છે. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જસાધાર રેન્જ ખાતે વન વિભાગનો સ્ટાફ ખડેપગે છે. ઉચ્ચ અધિકારીઓના ગીર જંગલમાં ધામા અને ટ્રેકર બીટ ગાર્ડ સહિતનો સ્ટાફ એક્શન મોડમાં છે.
વન વિભાગે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું
રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, એક સપ્તાહમાં 12 સિંહના મોત થયાં છે. ત્રણથી ચાર દિવસમાં મોતનો રિપોર્ટ આવશે. ડોક્ટરની ટીમો સ્થળ પર તપાસ કરી રહી છે. 10 કિ.મીમાં રહેતા સિંહને આઈસોલેટ કરાયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. વનવિભાગ ટીમો બનાવી કામગીરી કરે છે. વાયરસની અસર વધુ ના થાય તે માટે પગલા લેવાયા છે. અત્યાર સુધી સિંહબાળના જ મોત થયા છે. બીજી તરફ પાંચ જિલ્લામાંથી 200 કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. જામનગર અને સુરતથી સ્ટાફ બોલાવવામા આવ્યો છે. કચ્છ અને જૂનાગઢથી વધારાની ટીમો પણ ગીરમાં પહોંચી છે. RFO અને ફોરેસ્ટ ગાર્ડને ખાસ જવાબદારી અપાઈ છે. વન વિભાગે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે.









