ગિરનારની તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના વહીવટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પવિત્ર ગણાતા આ ધામમાં એક તરફ હાંકી કાઢવામાં આવેલા સાધુની ફરીથી એન્ટ્રી થતા અને બીજી તરફ વહીવટી તંત્રમાં થયેલા અચાનક ફેરફારને કારણે રાજકારણ ગરમાયું છે.
ગુરુ પરંપરાના સાધુઓનો વિરોધ
ભવનાથ મંદિરની ગરિમા અને ગુરુ પરંપરાને લઈને સંતોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અગાઉ પક્ષ કે પરંપરા વિરોધી પ્રવૃત્તિઓને કારણે જે સાધુને મંદિરની બહાર કરવામાં આવ્યા હતા, તેમની ફરીથી એન્ટ્રી પાછળ કયું રાજકીય દબાણ કામ કરી રહ્યું છે? તેવો પ્રશ્ન ઉઠાવી સાધુઓએ વિરોધ નોંધાવ્યો છે. સંતોનું માનવું છે કે ધાર્મિક પરંપરામાં તંત્ર અને રાજકીય હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે.
ભવનાથ મંદિરના વહીવટમાં ધરખમ ફેરફારો
વિવાદના વમળો વચ્ચે જિલ્લા કલેક્ટરના આદેશથી ભવનાથ મંદિરના વહીવટમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જૂનાગઢના પ્રાંત અધિકારીને વહીવટદાર પદેથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને વિસાવદરના પ્રાંત અધિકારીને નવી નિમણૂક આપવામાં આવી છે. આ બદલી પાછળ રાજકીય દબાણ હોવાની પ્રબળ ચર્ચાઓ જૂનાગઢના રાજકારણ અને સંત સમાજમાં જોવા મળી રહી છે.
ધર્મ અને રાજકારણ વચ્ચે ઘર્ષણ
ભવનાથ મંદિરના વહીવટમાં થઈ રહેલા આ ફેરફારોથી ભક્તોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. સ્થાનિકો અને પરંપરાના હિમાયતીઓનું કહેવું છે કે મંદિરના નિર્ણયોમાં રાજકીય પક્ષો કે વહીવટી તંત્રના દબાણથી ધાર્મિક વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો:Kutch: માધાપરમાં IPL પર સટ્ટો રમાડતા 3 બુકી ઝડપાયા, 55 લાખથી વધુના સોદાનો ખુલાસો