જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના હવે આંતરિક જૂથવાદ અને રાજકીય ષડયંત્ર તરફ વળી રહી હોય તેવું જણાય છે. આ ઘટનામાં સંડોવાયેલા યુવક સબીર મીરે પોલીસ સમક્ષ નવું નિવેદન આપીને સનસનાટી મચાવી દીધી છે. તેણે દાવો કર્યો છે કે તેણે આ કૃત્ય પોતાની મરજીથી નહીં, પરંતુ 'આપ'ના જ એક સ્થાનિક નેતાના કહેવાથી કર્યું હતું.


કોના ઈશારે ફેંકાયું જૂતું?

જૂતું ફેંકનાર યુવક સબીર મીરે મીડિયા અને પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના કહેવાથી જ તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. સબીરના આ નિવેદને આમ આદમી પાર્ટીના આંતરિક રાજકારણમાં ચાલી રહેલા મોટા જૂથવાદને સપાટી પર લાવી દીધો છે. અગાઉ સબીરે અલગ નિવેદન આપ્યું હતું, પરંતુ હવે વારંવાર બદલાતા તેના નિવેદનોથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.

રાજકીય ખળભળાટ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ

આ ઘટસ્ફોટ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ જેવા વિરોધી પક્ષોએ આમ આદમી પાર્ટી પર પ્રહારો શરૂ કર્યા છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે પબ્લિસિટી મેળવવા માટે 'આપ' પોતે જ પોતાના નેતાઓ પર હુમલા કરાવે છે. આ ગંભીર આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પાર્ટીના નેતાઓ હાલ આ મામલે મૌન સેવી રહ્યા છે.

પોલીસ તપાસ તેજ

જૂનાગઢ પોલીસ હવે સબીર મીરના આ નવા નિવેદનની સત્યતાની તપાસ કરી રહી છે.શું ખરેખર પિયુષ પરમાર અને સબીર મીર વચ્ચે કોઈ સંપર્ક હતો? શું આ કોઈ પૂર્વનિયોજિત ષડયંત્ર હતું?સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જમવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

  • Follow us on: