જૂનાગઢમાં આયોજિત પરંપરાગત ભવનાથ મહાશિવરાત્રી મેળાની રોનક હવે ગીરનાર પર્વત પર પણ જોવા મળી રહી છે. મેળામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ગિરનાર પર્વતનું આરોહણ કરી રહ્યા છે, જેના કારણે માં અંબાના મંદિર અને છેક દત્ત શિખર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ગિરનાર પર્વત પર મહાશિવરાત્રી મેળાની રોનક
વહેલી સવારથી જ ગીરનાર પર્વત પર ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સ્થિતિ એવી સર્જાઈ છે કે પર્વતની સીડીઓ પર ચાલવાની જગ્યા પણ ટૂંકી પડી રહી છે. તળેટીથી લઈને અંબાજી મંદિર અને ત્યાંથી છેક દત્ત શિખર સુધી માત્ર માનવ મહેરામણ જ નજરે પડી રહ્યો છે. લાખોની સંખ્યામાં ઉમટેલી આ જનમેદનીને કારણે યાત્રિકોને ઉપર પહોંચવામાં અને દર્શન કરવામાં કલાકોનો સમય લાગી રહ્યો છે.










