એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર ખાતે આજથી 'ઇન્ટરનેશનલ બિગ કેટ સમીટ'નો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સમીટને ખુલ્લી મૂકી હતી. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વન્યજીવ નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓ બિગ કેટ્સના ભવિષ્ય અંગે ચર્ચા કરશે.

5 મુખ્ય પ્રજાતિઓ પર વિશેષ ભાર

આ સમીટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં જોવા મળતી પાંચ મુખ્ય બિગ કેટ પ્રજાતિઓ—એશિયાટિક સિંહ, વાઘ, દીપડો, સ્નો લેપર્ડ અને ચિત્તા—ના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA) ને મજબૂત કરવાનો છે. ખાસ કરીને ગીરમાં 'પ્રોજેક્ટ લાયન' હેઠળ સિંહોના વિસ્તારનું વિસ્તરણ, આધુનિક ટેકનોલોજીથી દેખરેખ અને આરોગ્ય સુરક્ષા પર ખાસ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

સ્થાનિક સમુદાય અને સરકારની નીતિ

સમીટમાં ગીરના સિંહોના જતનમાં સ્થાનિક માલધારી સમુદાયના અભૂતપૂર્વ યોગદાનની નોંધ લેવામાં આવી હતી. વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે ગુજરાત સરકારની પશુધન વળતર નીતિ અને રેસ્ક્યૂ ટીમોની સજ્જતાને વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી છે. આ સમીટ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ મધ્યપ્રદેશના ચિત્તા અને સિક્કિમના સ્નો લેપર્ડ જેવા સંરક્ષણ પ્રોજેક્ટ્સને પણ એક મંચ પર લાવી રહી છે, જે ભારતની પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતાના દર્શન કરાવે છે.

આ પણ વાંચો: Gandhinagar: સરિતા ઉદ્યાન પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ક્રિકેટ રમી પરત ફરતા 4 યુવકો લોહીલુહાણ