ગિરનારની ગોદમાં યોજાનાર વિશ્વવિખ્યાત મહાશિવરાત્રી મેળાને હવે માત્ર થોડા મહિના જ બાકી છે.ગત વર્ષે કમોસમી વરસાદને કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવી પડી હતી, પરંતુ આ વખતે જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકા કોઈ કસર છોડવા તૈયાર નથી. ૨૦૨૬ના મેળાની તૈયારીઓ અત્યારથી જ ઝડપભેર ચાલુ થઈ ગઈ છે.થોડા દિવસો અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા ભવનાથ તળેટી વિસ્તારના હોટલ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.


ભવનાથમાં ખાસ કંટ્રોલ રૂમ સ્થાપવાનું નક્કી થયું

આ બેઠકમાં મેળા દરમિયાન ભાવિકોની સુવિધા માટે હોટલોના શૌચાલયો ૨૪ કલાક ખુલ્લા રાખવા, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા અને સફાઈના કડક ધોરણો જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. હોટલ સંચાલકોએ આ સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી છે.મેળાના સુચારુ વ્યવસ્થાપન માટે ભવનાથમાં ખાસ કંટ્રોલ રૂમ સ્થાપવાનું નક્કી થયું છે. આ કંટ્રોલ રૂમ માટે ફાળવવામાં આવેલી જમીન પર ગેરકાયદે ઝૂંપડા તથા પેશકદમીઓ થઈ ગઈ હતી. આજે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમોએ પોલીસની ભારે બંદોબસ્ત વચ્ચે આ તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા અને જમીનને સંપૂર્ણપણે ખાલી કરી દીધી.

દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

ટોપી-તળેટી વિસ્તારમાં પણ આવા અન્ય દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો ભાવિક ભોલેનાથના દર્શને ભવનાથ પધારે છે. આ વખતે વહીવટી તંત્રનો સ્પષ્ટ સંદેશ છે કે મેળો શાંતિપૂર્ણ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે હવે પછી કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં થાય. કંટ્રોલ રૂમનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થનાર છે, જેની સાથે જ પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને આરોગ્ય સેવાઓનું આયોજન પણ છે. આ તમામ પગલાંથી સ્પષ્ટ છે કે આ વખતનો મહાશિવરાત્રી મેળો પાછલા વર્ષો કરતાં વધુ સારી રીતે આયોજિત અને ભવ્ય બનશે.


આ પણ વાંચોઃ Ahmedabad News : ચાંગોદર બ્રિજ પર બસનું ટાયર નીકળતા સર્જાયો ભયંકર અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

  • Follow us on: