મહાશિવરાત્રીના મેળામાં ગિરનારની પવિત્ર ભૂમિમાં ખુલ્લા પગે ચાલીને સંતો મહંતોના નગર પ્રવેશ યાત્રામાં સહભાગી થઈને મને એક અલૌકિક અનુભૂતિ થઈ છે :આ મારા જીવનની એક યાદગાર પળ છે: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
નાયબ મુખ્યમંત્રી શિવભક્તોની સાથે ચાલીને ભવનાથ આવ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે લાખો શિવ ભક્તોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે સુવિધામાં વધારો થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવરાત્રીના મેળામાં પધાર્યા છે. અમે મહાશિવરાત્રીના મેળામાં વીઆઈપી કલ્ચર દૂર કર્યું છે અને આ મેળો શિવ ભક્તો માટે સંપૂર્ણ સુવિધામય બને એવી વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રીએ તેમની ગાડી ગીરનાર દરવાજા પાસે મૂકી દઈ શિવભક્તોની સાથે તેઓ ચાલીને ભવનાથ આવ્યા હતા
શિવ ભક્તો મેળામાં પ્રથમ દિવસે જ સહભાગી થયા છે
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં શિવભક્તોને સુવિધા મળી રહે અને વ્યવસ્થાઓ જળવાય તે માટે જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના સંકલનમાં તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો ના માર્ગદર્શનમાં સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ કર્મયોગીઓ છેલ્લા બે મહિનાથી પૂર્વ તૈયારી કરી રહ્યા હતા અને આજે મોટી સંખ્યામાં શિવ ભક્તો મેળામાં પ્રથમ દિવસે જ સહભાગી થયા છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
અનક્ષેત્રના સંચાલકો અને સ્વયંસેવકોને અભિનંદન આપ્યા
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગિરનારની આ પવિત્ર ભૂમિ છે. અહીં ખુલ્લા પગે ચાલીને આવીને મને એક અલૌકિક અનુભૂતિ થાય છે .આ દિવ્યભૂમિ છે. મારા જીવનની યાદગાર પળોમાંની આજની આ પણ મારા માટે યાદગાર છે. ભવનાથમાં સનાતન સંસ્કૃતિનો ગિરનારી ગુંજ અને હર હર મહાદેવ નો નાદ શિવ ભક્તો માટે પણ યાદગાર છે. કારણ કે મહાશિવરાત્રીના મેળાના અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. અને સાડા ત્રણ કિલોમીટર વિસ્તારમાં સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ છે. નાયબ મુખ્યમંત્રીએ જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અનક્ષેત્રના સંચાલકો અને સ્વયંસેવકોને અભિનંદન આપ્યા હતા અને ગુજરાત સરકાર વતી શુભકામના પાઠવી હતી.
લાખો ભાવિકો ગિરનારની આ પવિત્ર ભૂમિમાં સ્વચ્છતા જાળવે
લાખો ભાવિકો માટે સેવા કરવી અને રાત દિવસ એમના માટે પ્રસાદ બનાવો આ એક બહુ મોટું સેવા કાર્ય છે અને તે જુનાગઢના શિવરાત્રીના મહાશિવરાત્રીના મેળામાં વર્ષોથી થઈ રહ્યું છે તે અંગે ગુજરાત સરકાર વતી ભવનાથના તમામ અન્ન ક્ષેત્રો ભંડારા ના સંચાલકો સ્વયંસેવકો ને મહાશિવરાત્રીના આ મેળાના પર્વમાં શુભકામના પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લાખો ભાવિકો ગિરનારની આ પવિત્ર ભૂમિમાં સ્વચ્છતા જાળવે જ્યાં ત્યાં કચરો ન ફેકે અને આ પવિત્ર ભૂમિનો આદર કરે અને સ્વચ્છતા નો સંદેશ સમગ્ર ભવનાથ વિસ્તારમાં સાર્થક થાય તે માટે અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો : Surat News : સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા, સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો