બોલિવૂડમાં એક સમયે સુપર સ્ટાર રહેલા અભિનેત્રી પરવીન બાબીની જૂનાગઢની મિલકતને અજાણ્યા શખ્સોએ તોડી હતી. તેમાંથી રાતો રાત સાગના લાકડા અને પથ્થરો ગાયબ થઈ જતાં તે કોણ લઈ ગયું તેનું રહસ્ય સર્જાયું છે. પરવીન બાબીનો ઐતિહાસિક બંગલો કોઈપણ સત્તાવાર જાહેરાત વિના જ તોડી પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયાં છે.
બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી
બોલિવૂડની અભિનેત્રી પરવીન બાબીના બંગલામાંથી નવાબીકાળના કલાત્મક કિમતી પથ્થરો અને વર્ષો જૂના સાગના લાકડા કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ બાબી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે તેઓ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરશે. પરવીન બાબીના બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે, બંગલો તોડવાની કામગીરી રાત્રે થતી હતી અને દિવસં બંધ કરવામાં આવી હતી.










