જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. પાલિકા પ્રમુખ ક્રિશ્નાબેન થાપણિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપના શાસનમાં ઘરઆંગણે જ ભંગાણ પડતા હવે સત્તા ટકાવી રાખવી મુશ્કેલ જણાઈ રહી છે.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ
માંગરોળ નગરપાલિકામાં કુલ 36 બેઠકો છે. હાલના પક્ષીય સમીકરણોમાં ભાજપના 15 સભ્યો,કોંગ્રેસના 15 સભ્યો, બસપા (BSP) ટેકા સાથે સત્તામાં ભાગીદાર અપક્ષ નિર્ણાયક ભૂમિકામાં ભાજપે 20 વર્ષ બાદ બસપાના ટેકાથી અહીં સત્તા મેળવી હતી, પરંતુ માત્ર એક જ વર્ષમાં શાસક પક્ષમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. ભાજપના જ 8 સભ્યોએ નારાજગી દર્શાવી પક્ષ સામે બળવો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સ્થિતિનો લાભ લઈને કોંગ્રેસે તુરંત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે.
