છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ગ્રામ્ય પંથકોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી ચાલી રહેલી વાતો પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોવિંદ રામે સત્તાવાર નિવેદન જારી કરીને પ્રજાને નિશ્ચિંત રહેવા અને કોઈ પણ પ્રકારના ગભરાટમાં ન આવવા ખાસ અપીલ કરી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે દરેક પેટ્રોલ પંપ પર અત્યારે ઈંધણનો પૂરતો સ્ટોક છે અને સપ્લાય ચેઈનમાં કોઈ જ સમસ્યા નથી.
પેટ્રોલ પંપ એસોસિએશનનું મહત્વનું નિવેદન
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અછતની અફવાઓ વધુ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે ટ્રેક્ટરો અને રિક્ષાઓની લાઈનો લાગે છે. ગોવિંદ રામે જણાવ્યું છે કે ગામડાના લોકોએ જરા પણ ગભરાવાની જરૂર નથી. પાયાવિહોણા સંદેશાઓથી ગભરાઈને ઈંધણનો સંગ્રહ ન કરવા જણાવાયું છે. ગભરાટના માર્યા લોકો પંપ પર ખોટી રીતે લાઈનો લગાવી રહ્યા છે, જેનાથી ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડે છે.













