ગિરનારની તળેટીમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ 'મહાશિવરાત્રી મેળો' હવે નજીક આવી રહ્યો છે, ત્યારે આ મેળાના સુચારૂ આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર અનિલ રાણાવસીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાવિકોની સુવિધા અને સુરક્ષાને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહાશિવરાત્રીની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે કલેક્ટરે વિવિધ વિભાગોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. મેળાના મેદાનમાં ૨૪ કલાક આરોગ્યની ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત સફાઈ વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ટીમો અને મોબાઈલ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. વાહનોના ભારે ધસારાને પહોંચી વળવા માટે ટ્રાફિક મેનેજમેન્ટનો ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને નવા પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુસાફરો માટે વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવશે અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ફાયર ફાઈટરની ટીમો તૈનાત રહેશે.

રવેડી અને મૃગીકુંડ પર વિશેષ ધ્યાન

મહાશિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ-સંતોની રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન હોય છે. આથી, મૃગીકુંડ અને રવેડી રૂટ પર ભીડનું નિયંત્રણ કરવા અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કલેક્ટરે આ માટે સાધુ-સંતો સાથે આગોતરું સંકલન સાધવા પર પણ ભાર મૂક્યો છે.

24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત થશે

મેળા દરમિયાન ક્ષણે-ક્ષણની માહિતી મેળવવા અને વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે જિલ્લા તંત્ર દ્વારા ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. કલેક્ટરે અધિકારીઓને ભવનાથ ક્ષેત્રની ફિલ્ડ વિઝિટ કરી વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી છે.

આ પણ વાંચો: MSUના ગ્રાઉન્ડમાં ABVPના ક્રિકેટ મેચના આયોજનમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી