સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ જૂનાગઢના કેશોદ શહેરમાં ભાજપ સંગઠનમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે. કેશોદ શહેર યુવા ભાજપના મંત્રી મયુર વઘાસિયાએ અચાનક પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં યુવા નેતાનું આ રીતે છેડો ફાડવો એ ચર્ચાનો વિષય બન્યો છે.
રાજીનામાનું કારણ અકબંધ, અટકળો તેજ
મયુર વઘાસિયાએ પોતાના રાજીનામા પાછળના ચોક્કસ કારણોનો હજુ સુધી ખુલાસો કર્યો નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે પક્ષમાં ચાલી રહેલો આંતરિક અસંતોષ અને અવગણના આ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. ખાસ કરીને યુવા કાર્યકરોમાં સંગઠનના કેટલાક નિર્ણયોને લઈને નારાજગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
