ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામની નહેરમાંથી એક સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નહેરમાંથી પતિ, પત્ની અને તેમની બે નાની બાળકીઓના મૃતદેહ મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના
મળતી માહિતી મુજબ, કપડવંજની ફતિયાવાદ નહેરમાં એક પરિવારે સામુહિક રીતે ઝંપલાવ્યું હતું. સ્થાનિકોએ નહેરમાં મૃતદેહ તરતા જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પરિવારે ઘરકંકાસના કારણે આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની બે માસૂમ પુત્રીઓનો સમાવેશ થાય છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ આતરસુંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે આતરસુંબા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પરિવારમાં ચાલતા આંતરિક ઝઘડા અને કંકાસને કારણે પરિણીતાએ બાળકો સાથે નહેરમાં પડતું મૂક્યું હોવાનું જણાઈ રહ્યું છે.
શોકમગ્ન પંથક
માસૂમ બાળકીઓ અને માતા-પિતાના એકસાથે મોતના સમાચારથી ફતિયાવાદ અને આસપાસના ગામોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. એક સામાન્ય ઘરકંકાસે આખા હસતા-રમતા પરિવારનો ભોગ લીધો છે. હાલમાં આતરસુંબા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે કે ખરેખર કયા કારણોસર આ પરિવારે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પર 'બર્ડ હિટ' રોકવા મોટું પગલું, અસારવા અને ચમનપુરામાં નોનવેજ વેચાણ પર સદંતર પ્રતિબંધ