કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પાણીપુરી ખાવાના કારણે સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. છેલ્લા બે દિવસમાં લોડાઈ પંથકમાં પાણીપુરી ખાધા બાદ અંદાજે 70 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી અને ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
આરોગ્ય વિભાગનો મેગા સર્વે
ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની વિવિધ ટીમો તાત્કાલિક લોડાઈ ગામમાં દોડી ગઈ હતી. તંત્ર દ્વારા ગામના કુલ 2671 લોકોનો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો છે. અલગ-અલગ ટીમો બનાવીને લોકોની તબિયતની ચકાસણી કરવામાં આવી હતી જેથી અન્ય કોઈ વ્યક્તિ આ બીમારીનો ભોગ ન બને. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 6 જેટલા સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.













