કચ્છ જિલ્લાના પૂનરાજપર ખાતેથી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ના નવા લિગ્નાઇટ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GMDC દ્વારા આ વિસ્તારમાં લિગ્નાઇટ ખાણના પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સમયે જ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ હોબાળો મચાવીને કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું હતું.
ગ્રામજનોએ કર્યું વિરોધ પ્રદર્શન
ઘટનાની મળતી વિગતો અનુસાર, પૂનરાજપર ખાતે GMDC દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરીને જેવું કામ શરૂ કરાયું, કે તરત જ જમીન ગુમાવનારા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓની મુખ્ય માગ એ છે કે, સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પહેલા જમીનનું પ્રમોલગેશન કરવામાં આવે. આ સાથે જ ખેડૂતોએ સ્પષ્ટ રજૂઆત કરી છે કે, વહીવટી તંત્ર દ્વારા પહેલા તેમની જમીનોની યોગ્ય માપણી કરવામાં આવે, ત્યારબાદ જ પ્રોજેક્ટની આગળની કામગીરી શરૂ કરવામાં આવે.













