બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આવેલા લાખણી ખાતે આજે આગની એક મોટી ઘટના સામે આવી છે. લાખણીના ગેળા રોડ પર સ્થિત આદિશ્વર કોમ્પ્લેક્સના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોના મોટા ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.

ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે, બચાવ કામગીરી શરૂ

આગની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સાથે જ સાવચેતીના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સ અને પોલીસની 112 વાન પણ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં અન્ય કોઈ વ્યક્તિ ફસાયેલું ન હોય તે માટેની તપાસ પણ કરવામાં આવી રહી છે.

આગનું કારણ હજુ અકબંધ

આદિશ્વર કોમ્પ્લેક્સના બીજા માળે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોઈ શકે છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને કારણે કોમ્પ્લેક્સમાં રહેલા સામાનને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Banaskantha: થરાદના ડોડ ગામે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સગાં ભાઈ-બહેનોના કરુણ મોત