બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા હિંસક હુમલા અને અત્યાચારોના પડઘા હવે ગુજરાતના લુણાવાડા નગરમાં પણ જોવા મળ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવાની અમાનવીય ઘટનાના વિરોધમાં લુણાવાડાના હિન્દુ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રસ્તા પર ઉતરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લુણાવાડામાં મોહમ્મદ યુનુસનું પૂતળા દહન
લુણાવાડાના મુખ્ય એવા લુણેશ્વર ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને કાર્યકરો એકઠા થયા હતા. અહીં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રોષે ભરાયેલા લોકોએ તેમનું પૂતળા દહન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
