મહીસાગર જિલ્લાના લોકપ્રિય અને કાર્યદક્ષ પોલીસ અધિક્ષક (SP) સફીન હસને જનતાની સુખાકારી માટે એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. સામાન્ય રીતે લોકોએ પોતાની સમસ્યાઓ કે કાયદો-વ્યવસ્થાને લગતી રજૂઆતો માટે લાંબા અંતર કાપીને છેક જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ હવે મહીસાગરની જનતાને આ હાલાકીમાંથી મુક્તિ મળશે. એસપી સફીન હસને જાહેરાત કરી છે કે તેઓ પોતે મહિનાના નિર્ધારિત દિવસોમાં વિવિધ શહેરોમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે.

સમય અને નાણાંની થશે મોટી બચત

હાલના સમયમાં વધતા જતા ઇંધણના ભાવ અને નાગરિકોના કિંમતી સમયને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસપીના આ અભિગમથી અરજદારોને હવે લુણાવાડા મુખ્ય કચેરી સુધી આવવાની જરૂર નહીં રહે, જેનાથી તેમનું પેટ્રોલ અને સમય બંને બચશે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓના લોકો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે.

જાણી લો ક્યારે ક્યાં હાજર રહેશે એસપી સાહેબ?

નવી વ્યવસ્થા મુજબ, કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે એસપી સફીન હસન દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સંતરામપુર ખાતે હાજર રહેશે. જ્યારે બાલાસિનોર અને વીરપુર વિસ્તારના લોકો માટે તેઓ દર મહિનાના બીજા અને ચોથા બુધવારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ રહેશે.

પ્રજાલક્ષી અભિગમની વ્યાપક પ્રશંસા

પોલીસ પ્રશાસનને જનતાની વધુ નજીક લાવવાના અને 'લોક સેવા'ના આ ઉમદા ઉદ્દેશ્યને મહીસાગરની જનતાએ ખુલ્લા દિલથી બિરદાવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ સફીન હસનના આ પ્રજાલક્ષી અભિગમની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.


આ પણ વાંચો----     Mehsana : ઐતિહાસિક ચૂકાદો, પત્નીને 'ત્રિપલ તલાક' આપી બે બાળકો સાથે તરછોડનાર પતિને 1 વર્ષની જેલ