મહેસાણા જિલ્લાનું ઊંઝા તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ તેની લાલ અને સ્વાદિષ્ટ ડુંગળી માટે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાણીતું છે. જોકે, આ વર્ષે અહીની પ્રખ્યાત ડુંગળી ખેડૂતો માટે ખુશીને બદલે ચિંતા લઈને આવી છે. સ્વાદમાં મીઠી એવી બ્રાહ્મણવાડાની ડુંગળી પકવતા ખેડૂતો અત્યારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ઉત્પાદનમાં 50 ટકાનો ધરખમ ઘટાડો
બ્રાહ્મણવાડાની જમીન અને પાણી ડુંગળીના પાક માટે વરદાન સમાન છે, પરંતુ આ વર્ષે કુદરત જાણે રૂઠી હોય તેમ ડુંગળીના ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગામના 60 થી 70 ટકા ખેડૂતો માત્ર ડુંગળીની ખેતી પર નિર્ભર છે, ત્યારે આ ઘટાડો તેમના માટે મોટો ફટકો સાબિત થયો છે.
ભાવમાં ઘટાડો અને ગ્રાહકોની અછત
ખેડૂતોની વેદના એ છે કે, એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ભાવ પણ ગગડ્યા છે. ગત વર્ષે જે ડુંગળીના 20 કિલોના 500 રૂપિયા મળતા હતા, તેનો ભાવ આ વર્ષે ઘટીને 400 રૂપિયા થઈ ગયો છે. આટલું ઓછું હોય તેમ બજારમાં વેપારીઓ અને મોટા ગ્રાહકોની પણ અછત જોવા મળી રહી છે. મોંઘી મજૂરી અને ખાતરના ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખેતી કરવી દોહ્યલી બની છે.
સીધી ખેતરેથી ખરીદી
બ્રાહ્મણવાડાની ડુંગળીની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે સુરત, અમદાવાદ, વાપી અને મુંબઈ જેવા શહેરોમાંથી વર્ષો જૂના ગ્રાહકો આજે પણ સીધા ખેતરે આવીને ખરીદી કરે છે. સ્વાદના શોખીનો માટે ભલે આ ડુંગળી મિષ્ટાન્ન સમાન હોય, પણ ખેડૂતો માટે તે અત્યારે આંખમાં આંસુ લાવી રહી છે. જો આગામી સમયમાં યોગ્ય બજાર અને વળતર નહીં મળે તો આ પરંપરાગત ખેતી જોખમમાં મુકાઈ શકે છે.
આ પણ વાંચો - Mahesana News: માં ઉમિયાના જયઘોષથી ગુંજી ઊઠી ઊંઝા નગરી, 8 કિમી લાંબી નગરયાત્રામાં 165 ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર