ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના મહીસાગર જિલ્લામાં બની છે, જ્યાં એક નિર્દોષ મુસાફરે ચાલુ બસમાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જંબુસરથી ઉપડીને કડાણા ડેમ તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC) ની બસ પોતાના નિયત રૂટ પર દોડી રહી હતી. બસ જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથક નજીક પહોંચી ત્યારે તેમાં સવાર એક મુસાફરને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને તે પોતાની સીટ પરથી નીચે ઢળી પડ્યો હતો.


બસના મુસાફરો અને સ્ટાફની દોડધામ

ચાલુ ગાડીએ મુસાફર બેભાન થઈ જતાં બસમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. કંડક્ટરે તાત્કાલિક આ અંગે ડ્રાઇવરને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા અને કટોકટી સમજીને એસ.ટી. બસના ડ્રાઇવરે જરાપણ સમય બગાડ્યા વિના કે ૧૦૮ એમ્બ્યુલન્સની વાટ જોયા વિના, માનવતાના ધોરણે આખી પેસેન્જર બસને હાઈવે પરથી સીધી લુણાવાડા શહેરની સરકારી સિવિલ હોસ્પિટલ તરફ વાળી દીધી હતી અને નોન-સ્ટોપ દોડાવી મૂકી હતી.

પરિવારના આક્રંદથી હોસ્પિટલ ગુંજી ઊઠી

ડ્રાઇવરે બસને સીધી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લાવીને ઉભી રાખી હતી અને એસ.ટી. સ્ટાફ તેમજ સાથી મુસાફરોની મદદથી દર્દીને તુરંત જ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને જ જણાવ્યું હતું કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ મુસાફરનું હૃદય બંધ થઈ ગયું હતું, જેથી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ દુઃખદ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં આભ ફાટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ (Post Mortem) અર્થે ખસેડીને કાયદેસરની કાગળિયા કાર્યવાહી હાથ ધરી છે. ભલે પ્રવાસીનો જીવ ન બચ્યો, પણ મુસાફરનો જીવ બચાવવા માટે એસ.ટી. બસના ડ્રાઇવરે કરેલા અથાણ પ્રયાસની હોસ્પિટલ સ્ટાફ અને લોકો દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં નકલી ખાતર-બિયારણના કારોબારીઓ પર દરોડા, 54 લાયસન્સ સસ્પેન્ડ

  • Follow us on: