મોરબી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. વાહન ઓવરટેક કરવા જેવી ક્ષુલ્લક બાબતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક સોની વેપારીએ જીવ ગુમાવવો પડ્યો છે. આ હત્યાના વિરોધમાં આજે મોરબીની સોની બજાર સદંતર બંધ રહી હતી.
મોરબીમાં સોની વેપારીની હત્યા
પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક સોની યુવાન જતિન રસિકભાઈ સોની મોડી રાત્રે સરદાર બાગ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વાહન ઓવરટેક કરવા જેવી બાબતે અન્ય શખ્સો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત આટલેથી ન અટકતા, ઉશ્કેરાયેલા શખ્સોએ જતિન સોની પર છરીના ઘા ઝીંકી દઈ તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.










