હળવદ તાલુકાના ચરાડવા નજીક ગત રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં કાળ આંબી ગયો છે. અત્રે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હળવદ તાલુકા પંચાયત સદસ્ય સહિત રણછોડગઢ ગામના પાંચ આશાસ્પદ યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આજે સવારે જ્યારે ગામમાંથી એકસાથે પાંચ યુવાનોની સ્મશાનયાત્રા (અર્થી) નીકળી ત્યારે આખું ગામ હિબકે ચઢ્યું હતું અને પથ્થર હૃદયના માણસની આંખોમાંથી પણ આસુ સરી પડ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર હળવદ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ચરાડવા પાસે ડમ્પર અને કારનો અકસ્માત
મળતી માહિતી મુજબ, ગત રાત્રે ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ બે યુવાનોએ દમ તોડી દેતા કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રણછોડગઢ બેઠકના હળવદ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયા, સુરેશ સિહોરા, ભરત દઢૈયા, વિરમ દઢૈયા અને પરેશ દઢૈયાનો સમાવેશ થાય છે. એક જ ગામના પાંચ-પાંચ રત્નો જેવા યુવાનો કાળનો કોળિયો બની જતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે.










