મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી તંત્રની એક શરમાજનક અને લોકોના જીવ જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા લાખો લોકોના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદા કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રની આ કાળી કરતૂત સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાખો લોકોના માથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.


કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી

ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-2 ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ જ પાણી હળવદ શહેર અને આસપાસના 40 ગામોને પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ દ્વારા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હળવદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આ શુદ્ધ પીવાના પાણીની કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી છે.

પીવાનું પાણી ઝેરી બનશે

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ કેનાલનું દૂષિત પાણી બ્રાહ્મણી ડેમ અને અન્ય જળાશયોમાં પહોંચશે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ઝેરી બનશે, જેના કારણે કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ચેડાં બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે.


આ પણ વાંચો - Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના


  • Follow us on: