મોરબી જિલ્લાના જેતપર ગામે વીજપોલ ઊભા કરતી કંપનીની કથિત દાદાગીરી સામે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર આક્રોશ સાથે હલ્લાબોલ કર્યો છે. મંજૂરી વગર ખેતરોમાં ખાડા ખોદી નાખવામાં આવતા મામલો બિચક્યો હતો અને ધોમધખતા તાપ વચ્ચે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને પોલીસ આમનેસામને આવી ગયા હતા.



અન્યના ખેતરમાં ખાડા ખોદી નાખતા વિવાદ વકર્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપર ગામે વીજપોલ ઊભા કરવાનું કામ કરતી કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની સંમતિ વિના જ તેમના ખેતરમાં વીજપોલ માટેના મોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. પોતાના ઊભા પાક અને જમીનને નુકસાન થતું જોઈને ખેડૂતોનો પિત્તો ગયો હતો. કંપનીના આ મનસ્વી વલણ સામે આજુબાજુના વિસ્તારના ખેડૂતો એકઠા થઈ ગયા હતા અને કંપની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને કામ અટકાવી દીધું હતું.


ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા મેદાને

આ વિવાદની જાણ થતાં જ ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા. તેમણે વીજપોલ કંપનીની આવી જોહુકમી સામે આકરા પ્રહારો કર્યા હતા અને કંપનીની આ નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પાલભાઈ આંબલીયા અને સ્થાનિક ખેડૂતોએ આવી મનમાની કરતી કંપની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


તાપ વચ્ચે પોલીસ અને ખેડૂતો આમનેસામને

બીજી તરફ, વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલની સ્થિતિને પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપ વચ્ચે પોતાની જમીન બચાવવા મથી રહેલા ખેડૂતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા મથતી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બંને પક્ષો આમનેસામને આવી ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની વહીવટી તંત્ર અને પોલીસના જોરે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

હાલમાં જેતપર ગામે ખેડૂતો અને કંપની વચ્ચેનો આ વિવાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે, અને ખેડૂતો પોતાની જમીનમાં ગેરકાયદે કામ ન થવા દેવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે.


આ પણ વાંચો - Morbi News: હળવદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની વ્યાપક અસર, કલેક્ટરની ફટકાર બાદ પાલિકા તંત્ર દોડતું થયું


  • Follow us on: