મોરબી જિલ્લાના હળવદ પંથકમાં જનહિતના મુદ્દાને વાચા આપતા ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની ખૂબ જ વ્યાપક અને ધારદાર અસર જોવા મળી છે. હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મામલે જિલ્લા કલેક્ટરે કડક વલણ અપનાવતા આખરે સ્થાનિક નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, અને કેનાલની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.


લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો

ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલનું પાણી હળવદના 40 ગામો ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના અન્ય જિલ્લાઓમાં પીવા માટે સપ્લાય કરવામાં આવે છે. આટલી મહત્વની કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવતું હોવાથી લાખો લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું હતું. આ ગંભીર બેદરકારી અંગે સંદેશ ન્યૂઝ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરીને તંત્રની ઊંઘ ઉડાડી દેવામાં આવી હતી.

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળ ચકાસણી કરી પાલિકાને ફટકાર લગાવી

અહેવાલ પ્રસારિત થતાં જ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ઘટનાની ગંભીરતા સમજીને પોતે જ જાતે સ્થળ ચકાસણી કરી હતી. કલેક્ટરે સ્થળ પરની ભયાનક સ્થિતિ જોઈને હળવદ નગરપાલિકાના અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી અને તાત્કાલિક અસરથી ગટરનું પાણી બંધ કરવા તેમજ કેનાલ સાફ કરવાનો આદેશ આપ્યો હતો. કલેક્ટરે પાલિકા તંત્ર પાસે સફાઈ કામગીરીના ફોટા અને પુરાવા સાથેનો રિપોર્ટ પણ માંગ્યો છે.

સંદેશ ન્યૂઝના અહેવાલની અસર

કલેક્ટરની આકરી ફટકાર અને કડક સૂચના બાદ હળવદ પાલિકાની ટીમો તાબડતોબ કેનાલ પર પહોંચી હતી અને સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે. સંદેશ ન્યૂઝના અહેવાલના કારણે લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી પાછું મળશે, જેથી સ્થાનિક લોકોએ ચેનલનો આભાર વ્યક્ત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: