મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં એક દંપતી પર પાશવી હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વડીલોપાર્જિત જમીનનો કેસ હળવદ કોર્ટમાં ચાલતો હોવા છતાં, પિતાએ જમીન વેચી નાખતા નવા ખરીદદારોએ કબજો લેવા માટે દંપતી પર હુમલો કરી આતંક મચાવ્યો હતો.


પિતાએ જમીન વેચી નાખતા સર્જાયો વિવાદ

ઘટનાની વિગત મુજબ, મયાપુર ગામના આધેડ બળદેવભાઈ કાંઝરિયાએ તેમની વડીલોપાર્જિત જમીન બાબતે પોતાના જ પિતા સામે હળવદ કોર્ટમાં કેસ કરેલો છે. આ કેસ હજુ કોર્ટમાં પડતર છે, તેમ છતાં પિતાએ આ જમીન વેચી નાખી હતી. જે જમીન ખરીદનારા દિલીપભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ સહિતના 6 શખ્સો "આ ખેતર અમારું છે, ખાલી કરી દો" તેમ કહીને ખેતરમાં ઘુસી આવ્યા હતા અને દંપતી સાથે ઉગ્ર બોલાચાલી કરી લાકડીઓ વડે માર માર્યો હતો.

6 શખ્સો સામે પોલીસ ફરિયાદ

હુમલામાં ઇજાગ્રસ્ત બળદેવભાઈ અને તેમની પત્નીએ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ કરી છે. પોલીસે દિલીપભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ સહિત 6 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પાવર અને પૈસાના જોરે કબજો લેવા આવેલા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.


આ પણ વાંચો----    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: