મોરબીના પીપળી રોડ પાસે આવેલી 4 સોસાયટીના રહિશોએ પ્રાથમિક જરૂરિયાતોને લઇને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠાં હતા. તેઓએ માગ ઉઠાવી હતી કે રોડ, ગટર, પાણી, લાઇટ સહિતની સુવિધા ન હોવાની બિલ્ડરે છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે તેઓ ધરણા પર બેઠાં હતા.
4 સોસયટીના રહીશો ધરણાં પર ઉતર્યા
મોરબીના પીપળી રોડ પર આવેલી ચાર મોટી સોસાયટીઓના રહીશો આજે પોતાની પાયાની જરૂરિયાતો માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. માનસધામ-1, માનસધામ-2, ત્રિલોકધામ અને ગોકુલધામ સોસાયટીના આશરે 400 જેટલા પરિવારો છેલ્લા પાંચથી સાત વર્ષથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. બિલ્ડર દ્વારા પાયાની સુવિધાઓ આપવાના વાયદાઓ પોકળ સાબિત થતા, આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો સહિતના રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણા શરૂ કર્યા છે.
બિલ્ડર અને વકીલ સામે છેતરપિંડીનો આક્ષેપ
બિલ્ડર અને વકીલ સામે છેતરપિંડીનો આક્ષેપ સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે તેઓએ મકાનો ખરીદ્યા ત્યારે રોડ, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ આપવાનું વચન અપાયું હતું. પરંતુ હવે બિલ્ડર અને તેમના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે તેઓએ મકાન નહીં પણ માત્ર 'પ્લોટ' વેચ્યા છે. દસ્તાવેજોમાં મકાન હોવા છતાં આ પ્રકારની છેતરપિંડીથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે તેઓ વેરો ભરવા પણ તૈયાર છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
અનેક વખત રજૂઆત છતાં કોઇ જ ઉકેલ નહીં
તંત્ર અને પોલીસની ઉદાસીનતા આ વિસ્તારમાં રહેતા પછાત વર્ગના લોકોનો આક્ષેપ છે કે તેઓએ અનેકવાર સ્થાનિક તંત્ર અને પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે. 400 મકાનોમાં રહેતા હજારો લોકો આજે ગટર અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.
રહીશોની માગ અમને અમારો હક આપો
ન્યાયની માંગ સાથે લડતનો હુંકાર કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેઠેલા રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની પાયાની સુવિધાઓનો પ્રશ્ન હલ નહીં થાય અને છેતરપિંડી કરનાર બિલ્ડર સામે કડક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી તેમની આ લડત ચાલુ રહેશે. રહીશોની એક જ માંગ છે: "અમને અમારો હક આપો, અમને પાયાની સુવિધા આપો."










