મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે, જેમાં પવિત્ર ગણાતા પતિ-પત્નીના સંબંધોનું ખૂન થયું છે. ટંકારા તાલુકાના એક ખેતરમાં મજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં એક શખ્સે શંકાની નજરમાં અંધ બનીને પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકના મજૂર વર્ગ અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વહેલી સવારે ખેલાયો લોહિયાળ ખેલ
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશથી એક શ્રમિક પરિવાર ટંકારા ખાતે આવેલા અનિલ પટેલ નામના ખેડૂતની વાડીમાં આજીવિકા મેળવવા અને ખેતમજૂરી કરવા માટે આવ્યો હતો. અહીં વાડીમાં રહીને આ પરિવાર મજૂરી કામ કરતો હતો. જો કે, આરોપી પતિ લક્ષ્મણ કતિજા પોતાની પત્ની રૂકમાના ચરિત્ર પર અવારનવાર શંકા કરતો હતો, જેને લઈને અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. ગઈકાલે વહેલી સવારે આ શંકાના વહેમે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા લક્ષ્મણે બાજુમાં પડેલી ઈંટ અને અન્ય બોથડ પદાર્થ ઉપાડીને પત્ની રૂકમાના માથા તેમજ શરીરના ભાગે ઉપરાછાપરી ઝીંકી દીધા હતા.
