ગુજરાત ભાજપમાં શિસ્ત અને સંગઠનની વાતો વચ્ચે નર્મદા જિલ્લામાંથી જૂથવાદનો એવો ભયાનક નમૂનો સામે આવ્યો છે, જેણે પ્રદેશ નેતૃત્વની ચિંતામાં મોટો વધારો કર્યો છે. નાંદોદના સક્રિય મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ આજે રાજપીપળાના આંબેડકર ભવન ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પ્રોટોકોલ મુજબ વિસ્તારના ધારાસભ્ય મુખ્ય અતિથિ સ્થાને હોય છે, પરંતુ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તેમનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું નહોતું અને સ્ટેજ પર સન્માન ન જળવાતા તેઓ અત્યંત નારાજ થઈ ગયા હતા.
રસ્તા પર ઉપવાસ અને ટિકિટોની મનમાની પર આકરા પ્રહારો
આ અપમાન સહન ન થતાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ કાર્યક્રમ છોડીને સીધા રસ્તા પર જ ધરણાં અને ઉપવાસ પર બેસી ગયા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે રડતી આંખે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "જિલ્લા પ્રમુખ પક્ષના પાયાના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કાયમી અપમાન કરે છે. તેમને ઉપરથી કોઈ મોટા નેતાનું પીઠબળ છે, એટલે જ તેઓ જિલ્લામાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની અને સહકારી ચૂંટણીઓમાં લાયક કાર્યકરોને બદલે પોતાના માનીતાઓને જ ટિકિટો આપી, જેના કારણે જ ભાજપ અણધારી ચૂંટણીઓ હાર્યું છે." તેમણે ઉમેર્યું કે જો પ્રમુખ સામે કડક પગલાં નહીં લેવાય, તો તેઓ ધારાસભ્ય પદ છોડી દેશે.










