સામાન્ય રીતે જ્યારે કોઈ મંત્રી કાર્યક્રમમાં આવે ત્યારે તેમનું સ્વાગત ફૂલહાર કે તિલક કરીને કરવામાં આવતું હોય છે, પરંતુ નવસારીમાં આનાથી વિપરીત અને અત્યંત હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ જ્યારે દિવ્યાંગ બાળકોની મુલાકાતે પહોંચ્યા, ત્યારે પ્રોટોકોલને બાજુ પર મૂકી તેમનો માતૃત્વસભર અને ભાવનાત્મક અભિગમ સામે આવ્યો હતો.


સ્વાગત લેવાને બદલે બાળકોનું સ્વાગત કર્યું

નવસારીમાં મંત્રીના સ્વાગત માટે દિવ્યાંગ બાળકો તિલક લઈને ઉભા હતા. આ બાળકો મંત્રીનું સ્વાગત કરે તે પહેલા જ મનીષા વકીલે જાતે આગળ વધીને બાળકોને તિલક કરી તેમને વધાવ્યા હતા. એક મંત્રી તરીકે સ્વાગત સ્વીકારવાને બદલે દિવ્યાંગ બાળકોને માન આપી તેમનું સન્માન કરવાની આ ચેષ્ટાએ વાતાવરણને ભાવનાત્મક બનાવી દીધું હતું.

સાંકેતિક ભાષામાં સાધ્યો સંવાદ

માત્ર તિલક જ નહીં, પરંતુ મંત્રીએ આ બાળકોની મર્યાદાઓને સમજીને તેમની સાથે તેમની જ શૈલીમાં વાતચીત કરી હતી. મનીષા વકીલે દિવ્યાંગ બાળકો સાથે સાંકેતિક ભાષા (Sign Language) માં સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. બાળકો સાથે આત્મીયતા કેળવી તેમણે બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો:વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ, બે ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત

  • Follow us on: