નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કોઠમડી ગામના રહેવાસીઓ માટે રાહતભર્યા સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી ગામમાં દીપડાની દહેશતથી ફેલાયેલો ભય હવે દૂર થયો છે, કારણ કે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં એક કદાવર દીપડી કેદ થઈ ગઈ છે. ગ્રામજનોએ દીપડાની અવરજવરને કારણે ભયભીત થઈને તાત્કાલિક વન વિભાગને આ અંગે રજૂઆત કરી હતી.
જલાલપોરમાં 5 વર્ષની દીપડી કેદ
ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગે કોઠમડી ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આશરે પાંચ વર્ષની કદાવર દીપડી કેદ થઈ હતી. દીપડી પાંજરે પુરાઈ હોવાના સમાચાર મળતા જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ હવે આ દીપડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરશે.













