બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેરની બહાર ખસેડવાના નિર્ણયને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. જોરાવર પેલેસ સંકુલમાં આવેલી ઐતિહાસિક કોર્ટ કચેરીને ત્યાંથી સાત કિલોમીટર દૂર જગાણા નજીક ખસેડવાની તજવીજ સામે વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા પ્રતીક ધરણા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આજે પાલનપુર બાર એસોસિયેશન દ્વારા શક્તિ પ્રદર્શન સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી.
રેલીમાં ઉમટ્યું વકીલોનું ઘોડાપૂર
આજે યોજાયેલી આ રેલીમાં માત્ર વકીલો જ નહીં પરંતુ શહેરના વિવિધ સામાજિક સંગઠનો અને નાગરિકો પણ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં વકીલોએ સૂત્રોચ્ચાર કરી કોર્ટને જોરાવર પેલેસ સંકુલમાં જ રાખવાની માંગ બુલંદ કરી હતી. વકીલોની દલીલ છે કે કોર્ટને શહેરથી દૂર લઈ જવાથી પક્ષકારો, અસીલો અને વકીલોને ભારે હાલાકી ભોગવવી પડશે.
