પાલીતાણાના શેત્રુંજય પર્વત પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં પર્વતના પગથિયાં પર બે સિંહો આરામથી લટાર મારતા અને નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાને પગલે વન વિભાગ અને યાત્રિકોમાં ભારે ચર્ચા જાગી છે.


પગથિયાં પર જોવા મળ્યા વનરાજ

મળતી માહિતી મુજબ, શેત્રુંજય ડુંગરના મુખ્ય માર્ગ પર સિંહોના આગમનથી મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પર્વત પર હાજર સ્થાનિકો અને યાત્રિકોએ પોતાનું વાહન થોભાવી દીધું હતું અને આ દુર્લભ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વનપ્રેમીઓમાં આનંદ, તો યાત્રિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

છ ગાઉની યાત્રા પૂર્વે ચિંતા

આવતીકાલે પાલીતાણામાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી 'છ ગાઉ'ની યાત્રા યોજાવાની છે. આ યાત્રામાં દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. યાત્રાના બરાબર એક દિવસ પહેલા જ સિંહોની હાજરીના સમાચાર મળતા યાત્રિકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

વન વિભાગ પાસે સુરક્ષાની માંગ

ડુંગર પર સિંહોની અવરજવરને જોતા સ્થાનિકો અને જૈન સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે, આવતીકાલની મહાયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વન વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવે. યાત્રાના રૂટ પર વનકર્મીઓ તૈનાત કરવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ પણ વાંચો: Morbi: વાંકાનેરમાં સોલાર વાયર ચોરતી ગેંગના 5 તસ્કરોને LCB એ દબોચ્યા, 14.13 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: