પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધુ એક મહત્વનું સોપાન ઉમેરાયું છે. પાવાગઢ ડુંગર પર દર્શન માટે આવતા યાત્રિકોને પડતી પાર્કિંગની મોટી સમસ્યાનો હવે સુખદ અંત આવ્યો છે. માંચી ખાતે નવનિર્મિત મલ્ટીલેવલ કાર પાર્કિંગ બિલ્ડિંગને આજે યાત્રિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.


પાર્કિંગની સમસ્યાનો અંત

અગાઉ જ્યારે યાત્રિકો પોતાના ખાનગી વાહનો લઈને માંચી સુધી પહોંચતા હતા, ત્યારે પાર્કિંગ માટે પૂરતી જગ્યા ન હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘણીવાર ટ્રાફિક જામ અને વાહનો ક્યાં મૂકવા તેની મથામણ રહેતી હતી. આ સમસ્યાને ધ્યાને રાખીને ગુજરાત સરકાર અને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આ ભવ્ય મલ્ટીલેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ

આ નવું મલ્ટીલેવલ પાર્કિંગ અત્યંત આધુનિક છે અને તેમાં એક સાથે 500 જેટલી કાર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા છે. ડુંગર પર આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવતા હવે યાત્રિકો નિશ્ચિંત થઈને માં મહાકાળીના દર્શન કરી શકશે. આજે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરીયા ના હસ્તે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરી તેને જનતા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું.

યાત્રિકોમાં આનંદની લહેર

દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓએ આ સુવિધાને બિરદાવી હતી. હવે લોકો છેક માંચી સુધી પોતાના વાહનો આસાનીથી લાવી શકશે અને સુરક્ષિત રીતે પાર્ક કરી શકશે. પાવાગઢના સર્વાંગી વિકાસના ભાગરૂપે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો સાબિત થશે.

આ પણ વાંચો: Bhavnagar: માઢીયા પાસે હાઈવે પર ટ્રકમાં ભીષણ આગ, અકસ્માત બાદ ડીઝલ ટેન્ક તૂટતા સર્જાઈ દુર્ઘટના

  • Follow us on: