યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ રોપવે સેવાને પવનનું ગ્રહણ લાગ્યું છે. વહેલી સવારથી જ ડુંગર પર પવનની ગતિમાં અચાનક વધારો થતા રોપવે સત્તાધીશોએ સાવચેતીના ભાગરૂપે રોપવે સેવા તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

યાત્રિકોની સુરક્ષા માટે નિર્ણય

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મા શક્તિના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જોકે, ઊંચાઈ પર પવનની ગતિ મર્યાદા કરતા વધી જતા રોપવે ચલાવવો જોખમી સાબિત થઈ શકે તેમ હતો. યાત્રિકોની સલામતી અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રોપ વે મેનેજમેન્ટ દ્વારા પવન ન ઘટે ત્યાં સુધી સેવા બંધ રાખવાનું નક્કી કર્યું છે.

ડુંગર પર પવનની ગતિમાં વધારો 

રોપવે સત્તાધીશોના જણાવ્યા અનુસાર, પવનની ગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જેવો પવનનો વેગ ઓછો થશે અને સુરક્ષાના માપદંડો મુજબ સ્થિતિ સામાન્ય જણાશે, કે તુરંત જ રોપવે સેવા ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે. હાલમાં જે ભક્તો રોપવેના ભરોસે આવ્યા હતા, તેઓએ માતાજીના દર્શન કરવા માટે પગપાળા જ ડુંગર ચઢવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Rajkot: રિમાન્ડ પર રહેલા આરોપી ધ્રુવ જોષીના ઘરેથી 10 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો