ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા પાટણ જિલ્લાના શંખેશ્વરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માટી ખોદકામ અને વહનની પરવાનગી આપવાના બદલામાં લાંચની માંગણી કરનાર તલાટી કમ મંત્રી હમીરભાઈ ઠાકોરને ₹70,000ની રોકડ રકમ સાથે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

રાધે શોપિંગ આર્કેડ ખાતે ગોઠવાઈ ટ્રેપ

મળતી માહિતી મુજબ, શંખેશ્વર વિસ્તારમાં માટીની પરવાનગી આપવા માટે તલાટી હમીરભાઈ ઠાકોરે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે શંખેશ્વરના રાધે શોપિંગ આર્કેડ ખાતે છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. જેવું તલાટીએ ₹70,000ની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીએ ત્રાટકીને તેમને ઝડપી લીધા હતા.

તમામ રકમ રિકવર, કાયદેસરની કાર્યવાહી

એસીબીએ સ્થળ પરથી લાંચની સંપૂર્ણ રકમ ₹70,000 રિકવર કરી લીધી છે. આ ભ્રષ્ટાચારી અધિકારી સામે એસીબી દ્વારા ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી તંત્રમાં ચાલતા આ ભ્રષ્ટાચારના પર્દાફાશથી અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ એસીબી હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો---   Ahmedabad : વસ્ત્રાપુર તળાવ સામે કેમેરાના ભાવ બાબતે ગ્રાહકે દુકાનદારનું માથું પાનાથી ફોડી નાખ્યું