પાટણના સાંતલપુરના મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હવે થરાદ પોલીસ મથકે 11 જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.
મામલતદારે કર્યો આપઘાતનો પ્રયાસ
સાંતલપુરના મામલતદારે તાજેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. તેમની તબિયત લથડતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ છે.
સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા
આપઘાતનો પ્રયાસ કરતા પહેલા મામલતદારે એક સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમના સંઘર્ષની વ્યથા રજૂ કરી છે. સ્યુસાઈડ નોટ મુજબ, છેલ્લા 4 વર્ષથી કેટલાક શખ્સો દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં, આ લોકો દ્વારા તેમની પાસે અવારનવાર રૂપિયાની માંગણી પણ કરવામાં આવતી હતી. બ્લેકમેલિંગ અને સતત દબાણને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા, જેના અંતે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
પોલીસની કડક કાર્યવાહી
મામલતદારના નિવેદન અને સ્યુસાઈડ નોટના આધારે થરાદ પોલીસે કુલ 11 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ આરોપીઓમાં કોણ કોણ સામેલ છે અને તેમની ભૂમિકા શું હતી, તે દિશામાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. એક ક્લાસ-ટુ અધિકારીને આ રીતે મજબૂર કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચોઃ Mehsana: રાધનપુર રોડ પર ચાઇનીઝ દોરીનો કહેર,બાઇક ચાલક યુવકને 40 ટાંકા લેવાની પડી ફરજ