પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં જીલીયા ફાર્મ ખાતે દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારા તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. જીલીયા ગામે બનેલી હિંસક ઘટનામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની ધરપકડ કર્યા બાદ પાટણ જિલ્લા પોલીસે આજે ચાણસ્માના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

 અસામાજિક તત્વોએ ભેગા મળીને આતંક મચાવ્યો હતો

મળતી માહિતી મુજબ, થોડા દિવસો પૂર્વે જીલીયા ફાર્મ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ ભેગા મળીને આતંક મચાવ્યો હતો અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ લુખ્ખાગીરીને ગંભીરતાથી લેતા પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ચાણસ્મા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઘટનામાં સામેલ તમામ 17 લુખ્ખાઓને દબોચી લીધા હતા.

પોલીસની 'સરભરા' અને સરઘસ

આરોપીઓમાં પોલીસનો ડર રહે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે હેતુથી પોલીસે આજે ચાણસ્માના ભરચક બજારમાં આ તમામ આરોપીઓનું શરમજનક સરઘસ કાઢ્યું હતું. પોલીસે જાહેરમાં આ લુખ્ખાઓની બરાબરની 'સરભરા' કરી તેમની દાદાગીરી ઉતારી દીધી હતી. પોલીસના આ કડક વલણને જોઈને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.

વધુ ગામોમાં સરઘસ નીકળશે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આ લુખ્ખાઓએ જે જે વિસ્તારોમાં ભય ફેલાવ્યો હતો, તે તમામ અલગ-અલગ ગામોમાં પણ તેમનું સરઘસ કાઢવામાં આવશે. પાટણ જિલ્લા પોલીસના આ એક્શનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો---     Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?