પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. ગામ પાસે આવેલા મેરામપુરા વિસ્તારમાં ખેતરમાં મીની બોર બનાવવાની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા એક શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, નાયકા ગામના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા મીની બોર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન સાથે ટ્રેક્ટરની ચરખી અચાનક અથડાઈ હતી. ચરખીમાં વીજ કરંટ ઉતરતા ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં વીરસીંગજી સોલંકી નામના શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
