પોરબંદર જિલ્લાના માધવપુર નજીક આવેલા ઘોડાદર ગામ આજે આસ્થા અને કોમી એકતાના રંગે રંગાયું હતું. અહીં ગંજપીર ધામ તરીકે ઓળખાતી પવિત્ર જગ્યા પર હજારો વર્ષ જૂની પરંપરા મુજબ ભવ્ય મેળો અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધામની વિશેષતા એ છે કે, અહીં શ્રદ્ધાળુઓ ખજૂર અર્પણ કરીને પોતાની માનતા પૂરી કરે છે.
5000 કિલો ખજૂરનો પ્રસાદ અને અનોખો નિયમ
ગંજપીર દાદાના દરબારમાં દર વર્ષે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ અંદાજે 5000 કિલો જેટલો ખજૂરનો પ્રસાદ એકઠો થયો હતો. જોકે, આ સ્થળની એક અત્યંત રોચક અને વર્ષો જૂની પરંપરા છે. પ્રસાદીમાં આવેલી ખજૂર કોઈ પણ વ્યક્તિ ગામની બહાર લઈ જઈ શકતું નથી. શ્રદ્ધાળુઓ ગંજપીર ધામના પટાંગણમાં બેસીને ગમે તેટલો પ્રસાદ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેને ગામની સીમા ઓળંગાવી શકાતી નથી.













