રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘સનાતન સેતુ હનુમંત કથા’ શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા આ કાર્યક્રમના ફોર્મેટ સામે વિરોધ નોંધાવવા માટે ગુરુવારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસ સમક્ષ લેખિત અરજી રજૂ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રજૂઆત કરી છે. આ મામલે પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને પરસોતમ પીપળીયાને નિવેદન આપવા માટે બોલાવ્યા હતા.બીજી તરફ પોલીસે વિજ્ઞાન જાથાને કોઇ પણ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરવાની મંજૂરી આપી નથી


કાર્યક્રમ રોકવામાં આવે

પરસોતમ પીપળીયા દ્વારા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ લેખિત અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમની પ્રથમ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, હનુમંત કથાના નામે અંતિમ દિવસે જે 'દિવ્ય દરબાર' અને કથિત ‘પ્રેત દરબાર’ યોજાવાનો છે, તેને મંજૂરી આપવામાં ન આવે અને તે કાર્યક્રમ રોકવામાં આવે. જ્યારે બીજી અરજીમાં તેમણે પોતાના જીવનું જોખમ હોવાનું જણાવીને પોલીસ પ્રોટેક્શન ની માગણી કરી છે.

કથા સામે વ્યક્તિગત રીતે કોઈ જ વાંધો કે વિરોધ નથી

મીડિયા સાથેની ખાસ વાતચીતમાં સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, "મને સનાતન ધર્મના પ્રચાર કે હનુમંત કથા સામે વ્યક્તિગત રીતે કોઈ જ વાંધો કે વિરોધ નથી. એક સનાતની તરીકે હું કથાનું સ્વાગત કરું છું, પરંતુ કથાના નામે જે ‘પ્રેત દરબાર’ અને અંધશ્રદ્ધાને પ્રેરણા આપતી બાબતો થવાની છે તેની સામે મારો સખત વિરોધ છે."

સત્તાવાર લેખિત આમંત્રણ હજુ સુધી મળ્યું નથી

આ સાથે જ તેમણે આયોજકો પર કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, આયોજકો દ્વારા માત્ર મીડિયાના માધ્યમથી જ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું સત્તાવાર લેખિત આમંત્રણ હજુ સુધી મળ્યું નથી. આ વિવાદને પગલે રાજકોટ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને કાર્યક્રમની મંજૂરીઓ અંગે કાયદાકીય તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો

  • Follow us on: