બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું રંગીલા રાજકોટમાં ભવ્ય આગમન થઈ રહ્યું છે. રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસીય હનુમાન કથા અને ભવ્ય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજથી શરૂ થઈને આગામી ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.
મોટો વિવાદ પણ શરૂ
બીજી તરફ, બાબા બાગેશ્વરના રાજકોટ આગમનની સાથે જ કથા અને તેમના વિવાદાસ્પદ ‘દિવ્ય દરબાર’ તેમજ ‘ચિઠ્ઠી/પરચી’ પ્રથાને લઈને મોટો વિવાદ પણ શરૂ થઈ ગયો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાએ બાબાના ચમત્કારોના દાવાને પડકાર્યા છે. આ ઉપરાંત, સ્થાનિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ પણ આ કથા અને દરબાર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેને પગલે શહેરમાં વાતાવરણ ગરમાયું છે.













