રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મનપાના નવા ઓનલાઈન પોર્ટલની શરૂઆત થતાં જ હવે રાજકોટના નાગરિકોને વહીવટી પ્રક્રિયામાં મોટી રાહત મળશે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે નાગરિકોને જન્મ અને મરણના દાખલા મેળવવા માટે મનપાની કચેરીએ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી કાયમી મુક્તિ મળશે.

આ દાખલાઓ તદ્દન વિનામૂલ્યે મળશે

આ નવી ડિજિટલ સેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આ દાખલાઓ તદ્દન વિનામૂલ્યે એટલે કે ફ્રી ઓફ કોસ્ટ મળશે. અગાઉ નાગરિકોએ પ્રમાણપત્ર મેળવવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી, જે હવે નહીં ચૂકવવી પડે. અરજી કર્યા બાદ જન્મનો દાખલો સીધો નાગરિકના રજિસ્ટર્ડ ઇ-મેઇલ આઇડી પર મોકલી દેવામાં આવશે.

જનતાના સમય અને નાણાં બંનેની મોટી બચત

માત્ર નવા જ નહીં, પરંતુ જૂના દાખલાઓમાં સુધારો કરવા માટે પણ હવે કચેરીના ધક્કા ખાવા નહીં પડે. નાગરિકો ઓનલાઈન પોર્ટલના માધ્યમથી જ જૂના પ્રમાણપત્રોમાં જરૂરી અપડેટ કે સુધારા-વધારા કરી શકશે. રાજકોટ મનપાના આ સરાહનીય નિર્ણયથી સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનશે, જેનાથી સામાન્ય જનતાના સમય અને નાણાં બંનેની મોટી બચત થશે.

આ પણ વાંચોઃ Banaskantha News : દિયોદરમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આખરે ચુંટણી રદ, કોંગ્રેસના 10 કાર્યકરો સામે ફરિયાદ