રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે 4:57 કલાકે જ્યારે મોટાભાગના લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ધરા ધ્રૂજી ઉઠી હતી. સિસ્મોલોજી સેન્ટરના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધવામાં આવી હતી. આંચકો આવતાની સાથે જ અનેક લોકો ભયના માર્યા પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં ભૂસ્તરીય હલચલ
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 26 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે, આંચકાની તીવ્રતા ઓછી હોવાના કારણે સદનસીબે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં વારંવાર અનુભવાતા આ હળવા આંચકાઓએ સ્થાનિક રહીશોમાં ચિંતા જગાવી છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
