વડાપ્રધાન મોદી આજે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવી દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતાં. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમણે જાહેર સભાને સંબોધિત કરી હતી. હવે તેઓ રાજકોટ ખાતે યોજાનારી કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે. રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે રાજકોટ ખાતેથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો પ્રારંભ કરાવ્યો છે.
વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ મોરબી હાઈવે પર સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું છે.તેઓ આ કોન્ફરન્સમાં ઉદ્યોગકારોને સંબોધિત કરશે. કચ્છ અને સૌરાષ્ટ્રની આ સમિટમાં મહત્વપૂર્ણ કરારો થાય તેવી શક્યતાઓ છે. વડાપ્રધાન આ સમિટમાં વિવિધ એક્ઝિબિશનને નિહાળ્યા હતાં. મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ આ સમિટમાં હાજરી આપી રહ્યાં છે.આ સમિટમા પાંચ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજર રહ્યાં છે. આ ઉપરાંત અનેક રોકાણકારો પણ હાજર રહ્યાં છે. આ સમિટથી ઔધોગિક, આર્થિક, કૃષિ ઉર્જા ક્ષમતાને મંચ મળશે. પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી એક્ઝિબિશન, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને વૈશ્વિક મંચ મળશે.
